અમદાવાદ | ગુજરાત પ્રવાસી ન્યૂઝ | બ્યુરો ચીફ રિપોર્ટ
અમદાવાદના શાહીબાગ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલ ખાતે સહકાર ક્ષેત્રના અગ્રણી જ્યોતિન્દ્રભાઈ મહેતાના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સહકાર ભારતી દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા મુખ્ય ઉપસ્થિતિમાં હાજર રહ્યા હતા.


કાર્યક્રમ દરમિયાન જગદીશભાઈ વિશ્વકર્માએ જ્યોતિન્દ્રભાઈ મહેતાના વ્યક્તિત્વ અને સહકાર ક્ષેત્રમાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને બિરદાવતા જણાવ્યું હતું કે ૭૫ વર્ષ માત્ર એક આંકડો નથી પરંતુ અનુભવોનું અમૃત નિચોડ છે. તેમણે જણાવ્યું કે ત્યાગ, પ્રેમ, સંસ્કાર અને સહકારિતાનું અમૃત એટલે જ્યોતિન્દ્ર મામા. સરદાર પટેલના સહકારિતાના વિચારોને સાકાર કરીને તેમણે ગામ અને સમાજના અંતિમ માણસને મજબૂત બનાવવા માટે અવિરત સેવા આપી છે.


તેમણે જણાવ્યું કે જ્યોતિન્દ્રભાઈ મહેતા વર્ષો સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેવી રાષ્ટ્રવાદી સંસ્થાઓમાં કાર્યરત રહી રાષ્ટ્રનિર્માણના સંકલ્પ સાથે કાર્ય કરતા રહ્યા છે અને “If there is a will, there is a way” ઉક્તિને પોતાના જીવનમાં સાર્થક કરી છે.
જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલની પરિકલ્પના મુજબ ગામ મજબૂત બનશે તો શહેર મજબૂત બનશે, શહેર મજબૂત બનશે તો જિલ્લો મજબૂત બનશે અને જિલ્લો મજબૂત બનશે તો દેશ મજબૂત બનશે. તેમણે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે સ્વતંત્રતા પછી લાંબા સમય સુધી સહકારી ચળવળને પૂરતું પ્રોત્સાહન મળ્યું નહોતું.


પરંતુ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સહકાર ક્ષેત્રને નવી દિશા આપવા પ્રથમ વખત કેન્દ્રમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરી અને તેની જવાબદારી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહને સોંપી. તેમણે જણાવ્યું કે અમિતભાઈ શાહની સ્પષ્ટ નીતિ અને મજબૂત ટીમવર્કના કારણે દેશભરમાં સહકારી ચળવળને નવી ગતિ મળી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાતના સહકારી આગેવાનો એક ‘ટાસ્ક ફોર્સ’ની જેમ કાર્ય કરી રહ્યા છે જેના કારણે રાજ્યમાં મજબૂત સહકારી માળખું ઉભું થયું છે. રાજ્યના હજારો ગામોમાં માઇક્રો ATM, બેંક મિત્ર જેવી પહેલોથી ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત બન્યું છે


અમૂલ અને ઇફકોનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું કે આજે ગુજરાતની સહકારી સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવા સક્ષમ બની છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રમાં અનેક નવી પહેલો થઈ રહી છે જેના કારણે રોજગારીના નવા અવસરો સર્જાઈ રહ્યા છે.
કાર્યક્રમમાં ભારત સરકારના પૂર્વ મંત્રી સુરેશ પ્રભુ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિલાલ ભાડેસીયા, ઇફકો તથા ગૂજકોમાસોલના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, જીએસસી બેંકના ચેરમેન અજયભાઈ પટેલ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર સતીષ મરાઠે, સહકાર ભારતીના અધ્યક્ષ ઉદયજી જોષી, ઉપાધ્યક્ષ કાંતિભાઈ પટેલ સહિત રાજ્યભરના સહકારી આગેવાનો, વિવિધ સહકારી સંસ્થાઓના પદાધિકારીઓ, પ્રતિનિધિઓ અને શુભેચ્છકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ:
બ્યુરો ચીફ – ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ

