અમદાવાદ શહેરના નિકોલ વિધાનસભા વિસ્તારમાં આજે વિકાસને નવી દિશા આપતા મહત્વના પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ રૂ.97 કરોડના વિવિધ વિકાસ કાર્યોને લીલી ઝંડી આપવામાં આવી. વિરાટનગર સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા.
ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ દ્વારા આપવામાં આવેલી અખબારી યાદી મુજબ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને નિકોલના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માના વરદહસ્તે અમદાવાદના વિરાટનગર સ્થિત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોન હેઠળના નિકોલ વિધાનસભા વિસ્તારમાં રૂ.97 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંબોધન કરતા શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશને વિકાસની રાજનીતિની જે ભેટ આપી છે તેના પરિણામે આજે વિકાસના ફળ સમાજના છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસ માત્ર ચૂંટણી સમયે વાયદાઓ કરે છે જ્યારે ભાજપા જેનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે.


તેમણે જણાવ્યું હતું કે વિરાટનગરમાં માત્ર 15 મહિનાના ટૂંકા ગાળામાં રૂ.10.91 કરોડના ખર્ચે 30 બેડની સુવિધા ધરાવતીહોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. અહીં 11 સુપર સ્પેશિયાલિટી ડોક્ટરોની સેવા સાથે 43 પ્રકારના નિઃશુલ્ક રિપોર્ટ, સોનોગ્રાફી અને એક્સ-રે જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
શ્રી વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું કે નિકોલના ધારાસભ્ય તરીકે સેવા કરવાની તક મળ્યા બાદથી અત્યાર સુધી મતક્ષેત્રમાં અંદાજે ₹1000 કરોડથી વધુના વિકાસના કામો પૂર્ણ થયા છે. છેલ્લા બે વર્ષમાં વિશ્વકર્મા બ્રિજ, લક્ષ્મણ બ્રિજ, શબરી વાટિકા, લવ-કુશ તળાવ અને શ્રી રામ પાર્ટી પ્લોટ જેવા મહત્વના પ્રકલ્પો જનતાને સમર્પિત કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે વિરાટનગર વિસ્તારમાં

ટૂંક સમયમાં અત્યાધુનિક ઈ-લાઈબ્રેરીનું નિર્માણ કાર્ય પણ શરૂ થવાનું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઉત્તમ આરોગ્ય સેવાઓ માટે અંદાજે ₹700 કરોડના ખર્ચે આધુનિક હોસ્પિટલનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેશન દ્વારા ₹50 કરોડની ફાળવણી કરવામાં આવી છે.આ ઉપરાંત પૂર્વ વિસ્તારમાં અંદાજે ₹1200 કરોડના ખર્ચે ખારીકટ કેનાલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું


શ્રી વિશ્વકર્માએ કહ્યું કે ગુજરાતની જનતાએ ચૂંટણીઓમાં ભાજપાને ભરપૂર મત આપી જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તે વિશ્વાસનું ઋણ ભાજપા સરકાર વિકાસના અનેક કાર્યો દ્વારા ચૂકવવાનો પ્રયાસ કરી રહી છે. સરકારની 450થી વધુ યોજનાઓનો લાભ સમાજના દરેક વર્ગને મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, અમદાવાદ મહાનગરપાલિકાના ભાજપા પદાધિકારીઓ, નગરસેવકો, અધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.
ગુજરાત પ્રવાસી ન્યૂઝ અમદાબાદ
www.gujaratpravasi.com

