સાવરકુંડલા: શહેરની પવિત્ર ધરા પર આજે ભક્તિ અને શ્રદ્ધાનો અભૂતપૂર્વ મેળાપ જોવા મળ્યો. સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત *ચતુર્થ “સાવરકુંડલા થી દ્વારકા પદયાત્રા સંઘ”*નું માલધારી ચોકથી ગગનભેદી “જય દ્વારકાધીશ”ના નાદ સાથે ભવ્ય પ્રસ્થાન થયું.
મહાયજ્ઞ સાથે પદયાત્રાનું પ્રારંભ
માલધારી ચોક સ્થિત રાધાકૃષ્ણ મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિથી મહાયજ્ઞ યોજાયો. નાના ઝીંઝુડા મોમાઈ માતાજી મંદિરના મહંત પરમ પૂજ્ય મસા પીર બાપુના અધ્યક્ષ સ્થાને મહાયજ્ઞની પૂર્ણાહુતિ બાદ તેમના હસ્તે પદયાત્રીઓને આશીર્વાદ અપાઈ સંઘને રવાના કરવામાં આવ્યો.
દેશ-વિદેશથી જોડાયા શ્રદ્ધાળુઓ
આ વર્ષે 700થી વધુ પદયાત્રીઓમાં સાવરકુંડલા તેમજ આસપાસના જિલ્લાઓ ઉપરાંત દેશ-વિદેશના ભાવિકો પણ ઉમટી પડ્યા. શહેરના વિવિધ રાજકીય-સામાજિક આગેવાનો અને સંસ્થાઓએ પુષ્પવર્ષા કરી ભાવભીનુ સ્વાગત કર્યું.
ઠેર-ઠેર સેવાભાવી મંડળોએ શરબત, આઈસ્ક્રીમ અને ઠંડા પાણીના પરબ દ્વારા સેવા આપી યાત્રીઓને ઉર્જાવાન બનાવ્યા.
વિશાળ મહાપ્રસાદ અને સેવાભાવ
સવારે 11:00 કલાકે તમામ ભાવિકો માટે વિશાળ મહાપ્રસાદનું આયોજન થયું, જેના મુખ્ય દાતા પૂજ્ય મસા પીર બાપુ રહ્યા.
“છોડ ફિકર દુનિયા કી ચલ દ્વારકા ચલતે હૈ” ના નારા સાથે પદયાત્રીઓમાં અદ્ભુત ઉત્સાહ છલકાયો. યાત્રા દરમિયાન રહેવા, જમવા અને મેડિકલ સહાય સહિતની સુવ્યવસ્થિત વ્યવસ્થા દાતાશ્રીઓના સહયોગથી ગોઠવાઈ છે.
દ્વારકાધીશના દર્શન સુધીનો પવિત્ર સંકલ્પ
આ પદયાત્રા આગામી દિવસોમાં દ્વારકાધીશનું જગતમંદિર ખાતે પહોંચી ધજા રોહણ સાથે પૂર્ણતા પ્રાપ્ત કરશે અને ભાવિકો ધન્યતા અનુભવે તેવો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આ ભવ્ય આયોજનમાં સહભાગી બનેલા તમામ રાજકીય-સામાજિક આગેવાનો, સંસ્થાઓ અનેદાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
રિપોર્ટ: બ્યુરો ચીફ સતીશ બી. પાંડે, અમદાવાદ
ગુજરાત પ્રવાસી ન્યૂઝ

