અમદાવાદ: ગ્રાહકોના હિતોના રક્ષણ અને જાગૃતિ માટે કાર્યરત અખિલ ભારતીય ગ્રાહક પંચાયત (ABGP) અમદાવાદ શહેરના પ્રતિનિધિમંડળે બાપુનગર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહા સાથે મહત્વપૂર્ણ અને વિસ્તૃત બેઠક યોજી હતી. આ બેઠક ગુજરાત પ્રાંત સચિવ વસંતભાઈ પટેલની આગેવાનીમાં યોજાઈ હતી, જેમાં શહેર ઉપાધ્યક્ષ વિજયભાઈ આહીર સહિતના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન ગ્રાહકોને સીધી અસર કરતા વિવિધ ગંભીર મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.


શહેર ઉપાધ્યક્ષ વિજયભાઈ આહીરે ગુજરાત પ્રાંત સચિવ વસંતભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ધારાસભ્યશ્રીને જણાવ્યું હતું કે ગ્રાહક સુરક્ષા ધારા (CPA) મુજબ દરેક ગ્રાહકને કોઈપણ વસ્તુની કિંમત અંગે સંપૂર્ણ અને પારદર્શક માહિતી મેળવવાનો અધિકાર છે. પરંતુ હાલની ‘મેક્સિમમ રીટેલ પ્રાઈસ’ (MRP) પદ્ધતિમાં ગ્રાહકોને માત્ર અંતિમ કિંમત જ દર્શાવવામાં આવે છે, જ્યારે ઉત્પાદન ખર્ચ, પરિવહન ખર્ચ, કર અને નફાનું સ્પષ્ટ વિભાજન દર્શાવવામાં આવતું નથી. પરિણામે ગ્રાહકોમાં ગેરસમજ અને શોષણની સ્થિતિ ઊભી થાય છે.
વિજયભાઈ આહીરે વધુમાં જણાવ્યું હતું કે એમ.આર.પી. પર ઉત્પાદનનો મૂળ ભાવ અને નફાનો હિસ્સો સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવે તો ગ્રાહકોને યોગ્ય માહિતી મળી શકે અને બજારમાં પારદર્શિતા વધે. આ મુદ્દે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા શહેરભરમાં જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે, જેના વિષે ધારાસભ્યશ્રીને વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન અન્ન ભેળસેળ (Food Adulteration) જેવા ગંભીર અને આરોગ્ય સંબંધિત મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રતિનિધિમંડળે ખાદ્ય પદાર્થોમાં વધતી ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત રજૂ કરી હતી. ગ્રાહક પંચાયત દ્વારા નાગરિકોના આરોગ્યની સુરક્ષા અને શુદ્ધ ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પણ માહિતી આપવામાં આવી હતી.
ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહાએ અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના જનહિતલક્ષી કાર્યોની પ્રશંસા કરી હતી. ખાસ કરીને અન્ન ભેળસેળ રોકવા માટે સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોને તેમણે સરાહનીય ગણાવ્યા હતા. તેમણે ગ્રાહકોના હિતમાં એમ.આર.પી. પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાના આ અભિયાનને પોતાનો સંપૂર્ણ ટેકો અને સહકાર આપવાની ખાતરી આપી હતી.
અંતમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયત અમદાવાદ શહેર દ્વારા ધારાસભ્યશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ગ્રાહકોના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળવા અને હકારાત્મક સહયોગની ખાતરી આપવા બદલ સંસ્થાએ કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
રિપોર્ટ: વિવેક ઉપાધ્યાય, ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ

