રાજકોટ, તા. ૧૧ જૂન: ભારતીય જનતા પાર્ટીના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ અંતર્ગત રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોન-૧ ની વક્તા પ્રશિક્ષણ કાર્યશાળા અને ઝોન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરમાં આગામી સમયમાં યોજાનાર મંડલ સ્તરના પ્રશિક્ષણ વર્ગોને ધ્યાનમાં રાખી આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.


ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ભાજપા દ્વારા રાજ્યના તમામ ૫૮૦ મંડલોમાં પ્રશિક્ષણ વર્ગો યોજવાના છે. આ અભિયાનને સફળ બનાવવા માટે વિવિધ ઝોનમાં વક્તા પ્રશિક્ષણ કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મંડલ સ્તરે વર્ગોનું સંચાલન કરનાર વક્તાઓને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે.
રાજકોટ ખાતે યોજાયેલી આ કાર્યશાળામાં પ્રશિક્ષણ મહાઅભિયાનના પશ્ચિમ-મધ્ય ઝોનના ઇન્ચાર્જ અને પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી. પટેલ તેમજ પ્રદેશ મહામંત્રી અને અભિયાનના પ્રદેશ પ્રભારી શ્રી અનિરૂદ્ધભાઈ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.


કાર્યશાળા દરમિયાન પ્રદેશ સ્તરેથી નિયુક્ત કરવામાં આવેલા વક્તાશ્રીઓએ સંગઠન, વિચારધારા, વિકાસયાત્રા, સરકારની સિદ્ધિઓ અને કાર્યપદ્ધતિ સહિતના વિવિધ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. મંડલ સ્તરે પ્રશિક્ષણ વર્ગો લેવા જનાર વક્તાઓને અસરકારક રીતે વિષયવસ્તુ રજૂ કરી શકે તે માટે તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રશિક્ષણ મહાઅભિયાનના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ શ્રી પ્રદીપભાઈ ખીમાણી અને શ્રી રાજીવભાઈ પંડ્યા સહિત ઝોનમાં સમાવિષ્ટ વિવિધ જિલ્લાઓના જિલ્લા પ્રમુખશ્રીઓ, જિલ્લા પ્રભારીઓ, અભિયાનના ઇન્ચાર્જ અને સહ-ઇન્ચાર્જ, વક્તાશ્રીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

ભાજપાના પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત આગામી તબક્કામાં તા. ૧૨ જૂન, શુક્રવારે જૂનાગઢ ખાતે સૌરાષ્ટ્ર ઝોન-૨ ની વક્તા પ્રશિક્ષણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળામાં પણ વિવિધ જિલ્લાઓના કાર્યકરો અને વક્તાઓને સંગઠનાત્મક અને વૈચારિક પ્રશિક્ષણ આપવામાં આવશે.
સંવાદદાતા: સિયારામ શર્મા
ગુજરાત પ્રવાસી ન્યૂઝ, અમદાવાદ

